મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી
- 27 Jul, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં બીજેપી શાસિત મુખ્યમંત્રીઓ સિવાય પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સામેલ થયા હતા. એવા સમાચાર છે કે મમતા બેનર્જી અડધી બેઠક છોડીને નીકળી ગયા હતા. એટલું જ નહીં મમતાએ આ દરમિયાન કહ્યું કે આવું કઈ રીતે ચાલી શકે ? મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે બેઠકમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમને બેઠકમાં બોલવાની તક પણ આપવામાં આવતી નથી. આવું કઈ રીતે ચાલી શકે ?
મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મનમાની કરી રહી છે. મેં કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ જ બોલવા દીધી. મારાથી પહેલાના લોકોએ 10-20 મિનિટ સુધી વાત કરી હતી. વિપક્ષમાંથી હું એકલી હતી, જે આ બેઠકમાં ભાગ લઈ રહી હતી. જોકે તેમ છતાં મને બોલવા દીધી નહોતી. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ ક્ષેત્રીય દળોનું અપમાન છે.
નીતિ આયોગની આ બેઠકનો ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવ થયો હોવાનો આરોપ લગાવીને બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનાર મુખ્યમંત્રીઓમાં તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજ્યનની સાથે-સાથે આમ આદમીની પાર્ટીની આગેવાની વાળી પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. આ સિવાય કર્ણાટકના સિદ્ધારમૈયા, હિમાચલપ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂ અને તેલંગાનાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
જોકે આ બધાથી વિપરિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમાં સામેલ થવા પહોંચ્યા હતા. બેનર્જીએ કહ્યું હતું કે આ નેતાઓના અવાજને એક કોમન મંચ પર ઉઠાવવો જોઈએ. આ સિવાય મમતાએ માંગ કરી કે નીતિ આયોગને ખત્મ કરી દેવું જોઈએ અને ફરીથી યોજના આયોગને માન્યતા આપવી જોઈએ.